પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પી.ટી.એસ.ડી.)

Post-traumatic stress disorder (PTSD)

Below is a Gujarati translation of our information resource on post-traumatic stress disorder (PTSD). You can also view our other Gujarati translations.

આ માહિતી પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) ધરાવતા હોય અથવા તેમને તે હોવાની સંભાવના હોય તેવી કોઈપણ વ્યક્તિ તેમજ તેમના મિત્રો, પરિવારજનો અને સંભાળ રાખનારાઓ માટે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) શું છે?

પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર (પી.ટી.એસ.ડી.)એ એક માનસિક બીમારી છે, જે કોઈ વ્યક્તિ કોઈ આઘાતજનક ઘટનાનો અનુભવ કરે અથવા તેનું સાક્ષી બને ત્યારે વિકસી શકે છે.

ઘણા લોકો, જેઓ કોઈ આઘાતજનક ઘટનામાંથી પસાર થાય છે, તેઓ વિવિધ નકારાત્મક ભાવનાઓ, વિચારો અને સ્મૃતિઓનો અનુભવ કરે છે. ઘણા લોકો માટે, આ લક્ષણો સમય અને સહાયથી સુધરશે. જ્યારે આ નકારાત્મક લાગણીઓ દૂર નહીં થાય અને કોઈની દૈનિક જીવનમાં અવરોધરૂપ બને, ત્યારે તે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અનુભવી શકે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કેટલી સામાન્ય છે?

એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ઇંગ્લેન્ડમાં લગભગ દરેક 20 વયસ્કોમાંથી એકનું પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેનું સ્ક્રીનિંગ પોઝિટિવ આવ્યું. 'સ્ક્રીનમાં પોઝિટિવ આવ્યું' એટલે કે વ્યક્તિએ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ના લક્ષણો તપાસવા માટે માનસિક સ્વાસ્થ્ય લક્ષણો અંગેનું પ્રશ્નાવલી પૂર્ણ કરી છે. આ પ્રશ્નાવલીના જવાબો પરથી એવું સૂચવાય છે કે તેમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોવાની સંભાવના છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) શું કારણે થાય છે?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે, જે એક જ આઘાતજનક ઘટના કે અનેક આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરે છે. અમે નીચે આ ઘટનાઓનાં કેટલાક ઉદાહરણો આપ્યાં છે.

યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે નીચે સૂચિબદ્ધ ઘટના ઓ ફક્ત ઉદાહરણો છે. અહીં આવરી લેવામાં ન આવેલી ઘણી બધી ઘટનાઓ છે, જે કોઈ વ્યક્તિમાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિકસાવવાનું કારણ બની શકે છે. જો તમારો અનુભવ અહીં સમાવિષ્ટ ન હોય, તો પણ તે માન્ય છે અને જો તમે પીડિત હોવ તો મદદ અને સહાય માટે સંપર્ક કરો.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) તરફ દોરી શકે તેવી ઘટનાઓમાં, પરંતુ તે માત્ર આ પર સીમિત નથી:

  • કોઈને મૃત્યુ પામતા જોવું અથવા વિચારવું કે તમે જાતે જ મરી જવાના છો
  • ગંભીર રીતે ઘાયલ થવું, અથવા તમને લાગવું કે તમે થવા જઈ રહ્યા છો
  • યૌન હિંસાનો અનુભવ કરવો, અથવા એવું માનવું કે તમે તેનો અનુભવ કરવા જઈ રહ્યા છો

તમે નીચેનામાંથી કોઈ એક રીતે આઘાતજનક ઘટના ના સંપર્કમાં આવી શકો છો:

  • સીધું – એ તમારા સાથે થયું
  • સાક્ષી – તમે બીજા કોઈની સાથે તે બનતા જોયું
  • શીખવું – તમને ખબર પડી કે આ ઘટના તમારા ખૂબ નજીકના કોઈ વ્યક્તિ સાથે બની હતી.
  • ધમકી – તમને 'નજીકથી બચી ગયેલી' ઘટનાનો અનુભવ થયો, જેને તમે ગંભીર, ભયાનક અથવા ભયાવહ પરિણામ તરફ દોરી જશે એમ માનતા હતા, પરંતુ તેવું થયું નહોતું. ઉદાહરણ તરીકે, વિમાનમાં થયેલી ગંભીર ખામી અથવા ઘટનાએ તમને અને અન્ય મુસાફરોને એવું લાગ્યું કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા જઈ રહ્યું છે.

અમે એ પણ જાણીએ છીએ કે કેટલાક લોકો, જેઓ સોશિયલ મીડિયા, ટેલિવિઝન, ફિલ્મો અથવા તસવીરો દ્વારા આઘાતજનક ઘટનાઓના સંપર્કમાં આવે છે, તેઓ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે આ અનુભવ તેમના કામના પરિણામે થયો હોય ત્યારે આવું વધુ જોવા મળે છે.

કેટલાક લોકો ફક્ત એક જ આઘાતજનક ઘટનાનો અનુભવ કરે છે, પરંતુ દુર્ભાગ્યવશ ઘણા લોકો અનેક આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરે છે. જ્યારે આઘાતજનક ઘટનાઓ વારંવાર થાય છે અને વ્યક્તિને લાગે છે કે તે ભવિષ્યના આઘાતોમાંથી બચી શકશે નહીં, ત્યારે તેને કોમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નામની સ્થિતિ વિકસી શકે છે.

આઘાતજનક ઘટનાઓની સંખ્યા ઘણી મોટી છે, પરંતુ અહીં તેના કેટલાક ઉદાહરણો આપેલા છે:

  • હિંસક મૃત્યુ નજરે જોવું
  • ગંભીર અકસ્માતો, દા.ત. કાર અકસ્માતને જોવું
  • શારીરિક અથવા યૌન હુમલો અથવા દુર્વ્યવહાર
  • ગંભીર આરોગ્ય સમસ્યાઓ, ઇન્ટેન્સિવ કેરમાં હોવું અને અન્ય આઘાતજનક આરોગ્યસંભાળ અનુભવો
  • જટિલ અથવા જીવ જોખમી પ્રસૂતિ અનુભવો
  • જીવ જોખમી કે જીવન બદલાવી દે તેવી બીમારીનું નિદાન થવું
  • યુદ્ધ અને સંઘર્ષ
  • આતંકવાદી હુમલા
  • કુદરતી અથવા માનવસર્જિત આફતો, દા.ત. સુનામી અથવા આગ. માનવ-નિર્મિત એટલે કે કોઈ વસ્તુ વ્યક્તિ અથવા લોકોના સમૂહ દ્વારા સર્જાય છે અને તે કુદરતી રીતે નથી બનતી.

જો તમારો અનુભવ અહીં આવરી લેવામાં આવ્યો નથી, તો પણ તે માન્ય છે અને તમે મદદ અને સમર્થનના હકદાર છો.

કેમ કેટલીક ઘટનાઓ એટલી આઘાતજનક લાગે છે?

કેટલાક ઘટનાઓ માત્ર એ માટે નહીં કે તેમાં કંઈક ભયાનક બન્યું, પરંતુ એ માટે પણ ત્રાસદાયક લાગે છે કે આપણે તે કેમ બન્યું તે સમજી શકતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આઘાતજનક ઘટનાઓ ઘણીવાર દુનિયા વિશેની આપણી ધારણાઓ સાથે મેળ ખાતી નથી. આથી અમને તેમની પાછળનો અર્થ સમજવામાં મુશ્કેલી થાય છે અને આ ગૂંચવણ અમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.

આઘાતજનક અનુભવો આપણને એ પણ સમજાવી શકે છે કે આપણી સાથે અથવા જે લોકોની આપણે કાળજી રાખીએ છીએ તેમની સાથે કોઈપણ સમયે ખરાબ ઘટના બની શકે છે. તેના કારણે આપણે અસુરક્ષિત, અન્ય લોકોથી અલગ પડી ગયા હોવાની લાગણી અનુભવી શકીએ છીએ અને સતત જોખમ હેઠળ હોવાનો અનુભવ કરી શકીએ છીએ. આ સમજાય તેવું ભયાનક છે. ક્યારેક આઘાતજનક ઘટનાઓને કારણે આપણે પોતાની ઓળખ વિશે પ્રશ્નો કરવા લાગીએ છીએ, જે પણ ખૂબ જ તણાવપૂર્ણ કરનારું હોઈ શકે છે.

જ્યારે કોઈને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોય ત્યારે શું થાય છે?

ઘણા લોકો તેમના જીવન દરમ્યાન આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરે છે. ઇંગ્લેન્ડમાં લગભગ 3માંથી 1 વયસ્ક કહે છે કે તેમણે તેમના જીવનકાળમાં ઓછામાં ઓછું એક મોટી આઘાતજનક ઘટના અનુભવી છે. પરંતુ, જે પણ વ્યક્તિ કોઈ દુઃખદ ઘટનાનો અનુભવ કરે છે, તે દરેકને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિકસે તેવું નથી.

ઘણા લોકો કોઈ આઘાતજનક અનુભવ પછી દુઃખ, ઉદાસી, ચિંતા, દોષબોધ અને ગુસ્સો અનુભવે છે. આનો અર્થ એ નથી કે તેમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) છે. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો ઘણીવાર નીચે સૂચિબદ્ધ લક્ષણોમાંના અનેક દર્શાવે છે. આ તરત જ શરૂ થઈ શકે છે, અથવા તે શરૂ થવામાં કેટલાક અઠવાડિયા કે મહિના પણ લાગી શકે છે. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ના અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. તમને આમાંથી બધા, કેટલાક અથવા ફક્ત થોડા લક્ષણો હોઈ શકે છે, અને સમય સાથે તમારા લક્ષણો બદલાઈ શકે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) સાથે, આ લક્ષણો પીડિતની રોજિંદી પ્રવૃત્તિઓમાં અવરોધ લાવશે અને તમને ખૂબ જ ઉદ્વેગગ્રસ્ત અનુભવ કરાવશે. જો તમને કોઈ આઘાતજનક ઘટના બાદ તરત જ આમાંથી કોઈ લક્ષણ અનુભવાય, તો તેનો અર્થ એ નથી કે તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થશે.

પુનઃઅનુભવ અથવા ઘુસણ લક્ષણો

  • સ્મૃતિઓ – ઘટનાની અનિચ્છનીય સ્મૃતિઓ જે અત્યંત ભારે અને દુઃખદાયક હોય. આને ઘૂસણકારક વિચારો તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક આ એવું લાગે કે તમારું મન જે થયું તેનો વિડિયો વારંવાર ચલાવી રહ્યું હોય.
  • નાઈટમેર – આ અઘોરી સપના છે, જે આઘાત સાથે સંબંધિત હોય છે અને તમને જગાડી દે છે.
  • ડીસોસિયેટિવે પ્રતિક્રિયાઓ – એવું લાગવું કે આઘાતજનક ઘટના ફરીથી વાસ્તવિક સમયમાં બની રહી છે, અથવા તે મુજબ વર્તવું. આને ફ્લેશબેક તરીકે ઓળખવામાં આવે છે. તમે તમારા આસપાસ શું થઈ રહ્યું છે તે અંગે અજાણ બનો છો અથવા તમને લાગે કે દુનિયા હવે વાસ્તવિક નથી.
  • શારીરિક અને માનસિક દુર્દશા – જ્યારે કોઈ રીતે ઘટનાની યાદ અપાવવામાં આવે ત્યારે ખૂબ જ પીડિત, ચંચળ કે અતિઉત્સાહિત અનુભવવું. તમે ઝડપથી શ્વાસ લઈ શકો છો, અથવા તમારું ધબકાર ઝડપી હોઈ શકે છે. તમે હંમેશા જાણી શકતા નથી કે આ ભાવનાઓ તમારામાં ક્યારે ઉત્પન્ન થઈ છે, અથવા તેને કોણે ઉત્પન્ન કરી છે.

ટાળવાના લક્ષણો

  • ડીસોસિયેટિવ સ્મૃતિ ભ્રંશ – આઘાતજનક ઘટનાના કેટલાક ભાગો યાદ ન રાખી શકવાની અસમર્થતા. આ એક સામાન્ય રીત છે જેમાં તમારું મગજ તમને આઘાતજનક અનુભવથી બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ લાંબા ગાળે બાબતોને વધુ મુશ્કેલ બનાવી શકે છે. ક્યારેક જ્યારે તમે ઘટનાના કેટલાક ભાગોને યાદ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને પોતાની જાતથી અને આસપાસની દુનિયાથી અલગ પડી ગયા જેવું લાગી શકે છે. આને વિભાજન તરીકે ઓળખવામાં આવે છે.
  • અલગપણું – એવી લાગણી કે તમે પહેલાં જે લોકો સાથે નજીક હતા, હવે તેઓથી દૂર અથવા અલગ થઈ ગયા છો.
  • બોલવાનું અને વિચારવાનું ટાળવું - આઘાતજનક ઘટના અથવા ઘટનાઓ વિશે બોલવાની કે વિચારવાની ઇચ્છા ન હોવી
  • સંબંધોથી બચવું – આઘાતજનક ઘટના સાથે સંકળાયેલી સ્મૃતિઓ, વિચારો, લાગણીઓ, વસ્તુઓ, લોકો અને સ્થળોથી બચવું. આમાં ઘટનાથી સંબંધિત ટેલિવિઝન અથવા અન્ય મીડિયા જોવાનું ટાળવું પણ સામેલ હોઈ શકે છે, ખાસ કરીને જો તેનાથી તમને વ્યથા થતી હોય.

તમારા મૂડ અને વિચારોમાં ફેરફાર

  • નકારાત્મક માન્યતાઓ અને અપેક્ષાઓ – પોતાની જાત, અન્ય લોકો અથવા વિશ્વ વિશે નકારાત્મક રીતે વિચારવું.
  • દોષ – થયેલી આઘાતજનક ઘટના અથવા તેના પરિણામો માટે પોતાને કે અન્ય લોકોને દોષ આપવો.
  • નકારાત્મક ટ્રોમા-સંબંધિત ભાવનાઓ – સતત ભય, ભયાનકતા, ગુસ્સો, દોષબોધ અથવા શરમ અનુભવવી. તમે અન્ય લોકો કે પોતાની જાત પર ગુસ્સો અનુભવી શકો છો, ભલે તમે બંનેમાંથી કોઈએ પણ ખોટું કંઈ કર્યું ન હોય.
  • પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો – તમે પહેલાં આનંદ માણતા અથવા નિયમિતપણે કરતા પ્રવૃત્તિઓમાં આનંદ લેવામાં કે રસ બતાવવામાં મુશ્કેલી અનુભવવી.
  • સકારાત્મક ભાવનાઓ અનુભવી શકતા નથી – ખુશી, સંતોષ અથવા પ્રેમની લાગણીઓ અનુભવવામાં સંઘર્ષ.

સાવચેતતા અને પ્રતિક્રિયાત્મક લક્ષણો

  • અતિજાગૃતિ – આસપાસ શું થઈ રહ્યું છે તેની અતિ સતકર્તા રાખવી અને જોખમ શોધતા રહેવાને કારણે આરામ ન કરી શકવું.
  • સહેલાઈથી ચોંકી જવું – અવાજો કે હલચલ પર અતિપ્રતિક્રિયા આપવી.
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી – પહેલાં તમે સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા તેવા કાર્યો પર હવે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગે છે.
  • ઊંઘવામાં મુશ્કેલી – ઊંઘ આવવામાં અને સતત ઊંઘી રહેવામાં મુશ્કેલી અનુભવવી. જ્યારે તમને ઊંઘ આવી જાય, ત્યારે પણ તમારી ઊંઘ સારી ન હોય અથવા વચ્ચે-વચ્ચે તૂટી જતી હોય શકે છે, અને તમને ડરામણા સપનાઓ પણ આવી શકે છે.
  • ચીડિયાપણું – એવા ઉગ્ર પ્રતિક્રિયાઓ જેમાં તમે લોકો કે વસ્તુઓ પ્રત્યે મૌખિક કે શારીરિક રીતે આક્રમક બની જાઓ. જ્યારે તમને આઘાતજનક ઘટનાની યાદ અપાવતી કોઈ બાબતનો અનુભવ થાય, ત્યારે આવા ગુસ્સાના ઉશ્કેરાટ થઈ શકે છે.
  • બેદરકારી – ઉતાવળમાં અથવા જોખમી અને આત્મવિનાશક રીતે વર્તવું. ઉદાહરણ તરીકે, સંભવિત રીતે જોખમી અથવા હિંસક પરિસ્થિતિઓમાં પ્રવેશવું.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કેમ થાય છે?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) શું કારણથી થાય છે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણો છે.

માનસિક

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નાં માનસિક લક્ષણો અત્યંત અસ્વસ્થ અને દુઃખદાયક છે. જો કે, આ લક્ષણો ત્યારે સમજાય છે જ્યારે આપણે વિચારીએ કે કોઈ આઘાતજનક ઘટના બાદ આપણું મન આપણને સુરક્ષિત રાખવા માટે કેવી રીતે કામ કરે છે.

ઘુસણખોર વિચારો અથવા ફ્લેશબેક્સ
આપણા મગજમાં કોઈ મુશ્કેલ કે આઘાતજનક અનુભવને 'રીપ્લે' કરવો એ સંપૂર્ણપણે સામાન્ય છે. આ એક કુદરતી પ્રતિક્રિયા છે જે આપણું મગજ આપણને શું થયું તે સમજવામાં મદદ કરે છે. જો પરિસ્થિતિ ફરીથી બને તો વધુ તૈયાર રહેવામાં તે આપણને મદદ કરી શકે છે.

પરંતુ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)માં આ પ્રતિભાવ ખૂબ જ આત્યંતિક બની જાય છે. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો અનિચ્છનીય વિચારો અથવા ફ્લેશબેક્સ દ્વારા ઘટનાને વારંવાર ફરીથી અનુભવશે. આથી પીડિત અત્યંત ઉદ્વેગગ્રસ્ત અનુભવશે, બદલે તેમને શું થયું તે સમજવામાં મદદ મળશે.

ટાળમટોળ અને સુન્નતા
કોઈ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યા પછી, અમે તેને યાદ રાખવામાં અસમર્થ કે ઇચ્છુક ન હોઈ શકીએ. જે બન્યું તે યાદ રાખવું દુઃખદાયક હોઈ શકે છે, પરંતુ તે ઘટના પર વિચારવાથી અમને તેને સમજવામાં અને તેનાથી સાજા થવામાં મદદ મળે છે. જો આપણે ઘટના વિશે વિચારવાનું ટાળીએ, તો જ્યારે આપણે તે વિશે વિચારીએ ત્યારે સ્મૃતિઓ વધુ મજબૂત અને વધુ દુઃખદાયક બની શકે છે. નીચે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)માં ટાળવાની વૃત્તિના ચક્રને દર્શાવતું એક આલેખ છે:

Diagram showing the cycle of avoidance in Gujarati

અતિ સતકર્તા
જો આપણે 'સતર્ક' રહીએ અથવા આસપાસ શું થઈ રહ્યું છે તેના પ્રત્યે અતિ સંવેદનશીલ હોઈએ, તો બીજી કોઈ સંકટ આવે ત્યારે ઝડપી પ્રતિક્રિયા આપવા માટે તૈયાર અનુભવી શકીએ. આ પ્રતિસાદ આપણને અકસ્માત અથવા સંકટ પછી જરૂરી કાર્ય કરવા માટે ઊર્જા પણ આપી શકે છે.

પરંતુ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકોમાં, જોખમ પસાર થયા પછી પણ લાંબા સમય સુધી આ લાગણીઓ સતત થાય છે. એ લાગણીઓ એવી પરિસ્થિતિઓમાં પણ ઊભી થશે જ્યાં ધમકી ફરી ક્યારેય શક્ય પણ નહીં બને. આ થાકજનક હોઈ શકે છે અને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકોને તે કામો કરવા અટકાવી શકે છે જે તેઓ પહેલાં આનંદથી કરતા હતા.

શારીરિક

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં કેટલાક શારીરિક લક્ષણ એ માટે થાય છે કે આપણું શરીર ટ્રોમાને પ્રક્રિયા કરવામાં સંઘર્ષ કરી રહ્યું છે. વાસ્તવિક જોખમ પસાર થયા પછી પણ અમે 'જીવવા માટેની સ્થિતિમાં' ફસાઈ શકીએ છીએ.

એડ્રેનાલિન
આ એક હોર્મોન છે જે આપણું શરીર તણાવમાં હોવા પર ઉત્પન્ન કરે છે. તે આપણા શરીરને ઘણી ઊર્જાની જરૂરિયાતવાળી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, દોડવું અથવા કોઈને દૂર ભગાડવું. જ્યારે તણાવજનક ઘટના સમાપ્ત થાય છે, ત્યારે એડ્રેનાલિનનું સ્તર સામાન્ય સ્તરે પાછું આવવું જોઈએ.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો માટે, તણાવજનક ઘટનાની સ્પષ્ટ સ્મૃતિઓ એડ્રેનાલિનનું સ્તર ઊંચું રાખી શકે છે. એડ્રેનાલિનનું ઊંચું સ્તર અમને તણાવગ્રસ્ત, ચીડિયાળ અને આરામ કે સારી ઊંઘ લેવામાં અસમર્થ બનાવી શકે છે.

હિપોકેમ્પસ
આ મગજનો એક ભાગ છે જે સ્મૃતિઓને પ્રક્રિયા કરે છે. એડ્રેનાલિન જેવા તણાવના હોર્મોનના ઊંચા સ્તરો હિપોકેમ્પસને યોગ્ય રીતે કાર્ય કરતાં અટકાવી શકે છે. આનો અર્થ એ છે કે આઘાતજનક ઘટનાની સ્મૃતિઓ યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવતી નથી. આથી અમે આ ઘટનાને એ રીતે યાદ કરીએ છીએ કે જોખમ હજુ પણ હાજર છે, એને બદલે કે તે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો ઘણીવાર આ માનસિક કે શારીરિક પ્રતિક્રિયાઓને સભાનપણે કે ઇરાદાપૂર્વક નથી કરતા. આ આઘાતના કારણે થતા સ્વચાલિત પ્રતિક્રિયાઓ છે.

શું એવી નોકરીઓ છે જેમાં કોઈને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થવાની સંભાવના વધારે હોય?

જે કોઈએ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યો હોય તેન પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થઈ શકે છે. પરંતુ કેટલાક લોકોની નોકરીઓ એવી હોય છે કે તેઓ વધુ સંભાવનાથી આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરે છે. આનો અર્થ એ છે કે અન્ય કારકિર્દીઓની તુલનામાં તેમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થવાની સંભાવના વધારે છે. આ નોકરીઓમાં નીચે મુજબનો સમાવેશ થઈ શકે છે:

  • કટોકટી સેવા કાર્યકરો (દા.ત. પોલીસ અધિકારીઓ, અગ્નિશામકો અથવા પેરામેડિક્સ)
  • સામાજિક કાર્યકરો
  • આરોગ્યસંભાળ વ્યાવસાયિકો (જેમ કે ઇન્ટેન્સિવ કેર સ્ટાફ અથવા દાયિકાઓ)
  • યુદ્ધક્ષેત્રોમાં કાર્યરત સૈનિકો, અન્ય વ્યાવસાયિકો અને સ્વયંસેવકો
  • રેલવે ટ્રેક પર કોઈના મૃત્યુનો અનુભવ કરનારા ટ્રેન ચાલકો
  • વ્યાવસાયિક ઑનલાઇન સામગ્રી નિયંત્રકો, જેમને તેમના કાર્યના ભાગરૂપે દુઃખદાયક સામગ્રી જોવી પડે છે

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ક્યારે શરૂ થાય છે?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો ઘણીવાર તરત જ અથવા કોઈ આઘાતજનક ઘટનાના થોડા સમય પછી શરૂ થાય છે. ક્યારેક આઘાતજનક ઘટના બાદ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી શરૂ પણ નહીં થાય. ઘણા કિસ્સાઓમાં તેઓ ઘટનાના છ મહિનાની અંદર શરૂ થાય છે. છ મહિના કે તેથી વધુ વિલંબ અશક્ય નથી, પરંતુ તે ઘણી ઓછી સામાન્ય છે. દુર્ભાગ્યવશ, વધુ સામાન્ય એ છે કે ઘણા લોકો જ્યારે તેમના લક્ષણો પ્રથમ શરૂ થાય છે ત્યારે મદદ માટે પૂછતા નથી. આનું કારણ એ છે કે શું થઈ રહ્યું છે તે ઓળખવું મુશ્કેલ હોઈ શકે છે, અથવા ક્યારે મદદ માટે સંપર્ક કરવો તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે. લોકોને તેમના નોકરીદાતાઓ સહિત અન્ય લોકો દ્વારા પોતાના વિશે નકારાત્મક અભિપ્રાય બાંધવામાં આવશે એવી પણ ભીતિ થઈ શકે છે.

આઘાતજનક ઘટના પછીના પ્રથમ મહિનામાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નું નિદાન ન કરવું જોઈએ. જો તમને તરત જ આઘાતના લક્ષણો અનુભવાય અને તે ગંભીર હોય અને તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો કરે, તો શક્ય છે કે તમે તીવ્ર તણાવ પ્રતિક્રિયા અથવા તીવ્ર તણાવ વિકારનો અનુભવ કરી રહ્યા હોવ. આ લક્ષણો સામાન્ય રીતે થોડા દિવસોથી થોડા અઠવાડિયાઓમાં સુધરી જાય છે અથવા દૂર થઈ જાય છે. કેટલાક સંજોગોમાં તમને વ્યાવસાયિકની મદદ લેવી ફાયદાકારક લાગી શકે છે.

આઘાતજનક ઘટના બાદ દરેકને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કેમ નથી થતું?

આઘાતજનક અનુભવ પછી, ઘણા લોકોમાં લગભગ પ્રથમ એક મહિના સુધી આઘાત સંબંધિત કેટલાક લક્ષણો જોવા મળી શકે છે અથવા તેઓ તેવા લક્ષણો દર્શાવી શકે છે. આ સામાન્ય પ્રતિક્રિયાઓ છે, જે વાસ્તવિક કે કલ્પિત જોખમનો અનુભવ કરતી વખતે થાય છે. તમે તેને તમારા મગજની તમને નુકસાનથી બચાવવાની રીત કે જે બન્યું તે સમજવાની પ્રક્રિયાનો એક ભાગ માની શકો છો.

પરંતુ મોટાભાગના લોકો થોડા અઠવાડિયાઓમાં, અથવા ક્યારેક થોડા વધુ સમયમાં, શું થયું તે સમજી લે છે. જ્યારે તેઓ આવું કરે છે, ત્યારે તેમના દુર્દશાના લક્ષણોની આવર્તનતા અને તીવ્રતા ઘટવા લાગશે.

શોધો દર્શાવે છે કે કેટલીક લોકોના જૂથોમાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અનુભવવાની સંભાવના વધારે છે. આમાં શામેલ છે:

  • જેઓ વારંવાર આઘાત અનુભવે છે. ઉદાહરણ તરીકે, સંઘર્ષક્ષેત્રોમાં રહેતા લોકો
  • જેઓ તેમના ભૂતકાળના અનુભવોને કારણે પહેલેથી જ સંવેદનશીલ છે. ઉદાહરણ તરીકે, એવા લોકો જેમણે ભૂતકાળમાં આઘાતજનક અનુભવ કર્યો હોય, જેમ કે બાળપણમાં દુર્વ્યવહારનો સામનો કરવો.

જો કોઈ વ્યક્તિ નીચેની બાબતો કરી શકે, તો પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિકસાવવાનું જોખમ ઘટે છે:

  • સારી સામાજિક સહાય મેળવો અને
  • આઘાતજનક ઘટના થી 'ઓછા તણાવવાળા વાતાવરણમાં' સાજા થવું.

કાર્યસ્થળો, પરિવાર અને મિત્રો વધારાની સહાય આપીને ટ્રોમાનો સામનો કરનારા લોકોની મદદ કરી શકે છે. તેઓ થોડા સમય માટે આઘાતગ્રસ્ત લોકોને વધુ તણાવથી સુરક્ષિત રાખવામાં પણ મદદ કરી શકે છે.

કઈ ઘટનાઓ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થવાની સંભાવના વધારે છે?

કોઈપણ આઘાતજનક ઘટના પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નું કારણ બની શકે છે. જો કે, જો આ ઘટના હોય તો તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થવાની શક્યતા વધુ રહે છે:

  • અચાનક અને અપ્રતિક્ષિત હોય છે
  • લાંબા સમય સુધી ચાલે છે
  • જ્યારે તમે ફસાઈ જાવો અને છૂટી શકતા નથી ત્યારે તે થાય છે
  • ‘માનવ-નિર્મિત’ છે
  • ઘણા મૃત્યુ નું કારણ બને છે
  • ગંભીર ઈજા અથવા વિકૃતિ (વિભંજન)નું કારણ બને છે
  • બાળકો સામેલ છે.

આનો અર્થ એ નથી કે અન્ય અનુભવો કોઈને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિકસાવવા માટે દોરી શકતા નથી. શું આઘાતજનક લાગે છે તે દરેક વ્યક્તિ માટે ઘણું અલગ હોઈ શકે છે. જો તમે સાજા થવા પ્રયત્ન કરતા સમયે તણાવ અને અનિશ્ચિતતાના સંપર્કમાં સતત રહો, તો તમારા પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ના લક્ષણોમાં સુધારો થવો વધુ મુશ્કેલ બની શકે છે.

મને કેવી રીતે ખબર પડે કે હું કોઈ આઘાતજનક અનુભવમાંથી સાજો થઈ ગયો છું?

જો તમે નીચેની બાબતો અનુભવી હોય, તો શક્ય છે કે તમે કોઈ આઘાતજનક અનુભવમાંથી સાજા થઈ ગયા હો:

  • વધુ પડતા ઉદ્વેગમાં પડ્યા વિના તે વિશે વિચારી શકાય
  • સતત જોખમમાં કે તણાવમાં હોવાનું અનુભવશો નહીં
  • જ્યારે તમારો ઈરાદો ન હોય ત્યારે તેના વિશે વિચારશો નહીં
  • ઘટનાની યાદ અપાવતી બાબતોને ટાળશો નહીં.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નું નિદાન હંમેશા કેમ થતું નથી?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા કોઈ વ્યક્તિનું નિદાન ન થવાના અનેક કારણો હોઈ શકે છે.

ટાળવું

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો ઘણીવાર પોતાની લાગણીઓ વિશે વાત કરવાનું ટાળે છે, જેથી તેમને આઘાતજનક ઘટના વિશે વિચારવું ન પડે.

કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ જે લક્ષણો અનુભવી રહ્યા છે (ઉદાહરણ તરીકે, ટાળવાની વૃત્તિ અને લાગણીઓનું સુન્ન થઈ જવું) તે તેમને પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી રહ્યા છે. તેઓ કદાચ સમજી ન શકે કે આ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) નાં લક્ષણો છે.

કલંક અને ગેરસમજ

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર હોય છે, ત્યારે તેમને એ માનવું મુશ્કેલ લાગે છે કે તેઓ ક્યારેય તે આઘાતજનક ઘટના પહેલાં જેવી સ્થિતિમાં પાછા આવી શકશે.

કેટલાક લોકો પોતાના અનુભવોને ઓછા ગણાવે છે, કારણ કે તેઓ માને છે કે બીજાઓની સ્થિતિ વધુ ખરાબ હતી. બીજાઓ મદદ નહીં માંગે, કારણ કે તેઓ બીમાર હોવાને લઈને શરમ અનુભવે છે અથવા બીજાઓ તેમને નિંદા કરશે એવી ચિંતા રાખે છે.

એક સામાન્ય ગેરસમજ છે કે માત્ર સૈનિકો અથવા આપાતકાલીન સેવાઓમાં કામ કરતા લોકોને જ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થાય છે. આનો અર્થ એ હોઈ શકે છે કે જ્યારે લોકો કહે છે કે તેમને લાગે છે કે તેમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોઈ શકે છે, ત્યારે અન્ય લોકો તેમની વાત પર વિશ્વાસ ન કરે એવું બની શકે છે. વાસ્તવમાં, પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કોઈને પણ થઈ શકે છે, અને પી.ટી.એસ.ડી.નો દરેક અનુભવ માન્ય છે.

ખોટુ નિદાન

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા કેટલાક લોકોને અન્ય સ્થિતિઓ માટે ખોટી રીતે નિદાન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ચિંતા વિકાર, હતાશા અથવા વ્યક્તિત્વ વિકાર.

કેટલાક લોકોને અન્ય માનસિક અથવા શારીરિક સ્વાસ્થ્ય સમસ્યા ઓ હશે. તેમ છતાં, આ કારણે તેમના પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) લક્ષણો અવગણાય શકે છે અથવા ખોટી નિદાન તરફ દોરી શકે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકોમાં 'ચિકિત્સાકીય રીતે અજાણ્યા શારીરિક લક્ષણ' પણ હોઈ શકે છે, જેમ કે:

  • જઠરાંત્ર સંબંધી મુશ્કેલીઓ
  • પીડા સિન્ડ્રોમ્સ
  • માથાનો દુખાવો

આ લક્ષણોનો અર્થ એ હોઈ શકે છે કે તેમના પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ને શારીરિક લક્ષણ કે રોગ તરીકે ઓળખવામાં આવે છે. આથી, આરોગ્યસંભાળના વ્યાવસાયિકોએ કોઈપણ વ્યક્તિનું મૂલ્યાંકન કરતી વખતે તેના ટ્રોમાના અનુભવો વિશે પૂછવું મહત્વપૂર્ણ છે.

અન્ય પડકારો

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા કેટલાક લોકો તેમના લક્ષણોને કારણે અન્ય પડકારો પણ વિકસાવી શકે છે. ઉદાહરણ તરીકે, સંબંધોમાં મુશ્કેલીઓ અથવા દારૂ કે ડ્રગ્સ પર નિર્ભરતા. આ મુશ્કેલીઓ તેમના પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) સાથે સંકળાયેલી હોઈ શકે છે, પરંતુ તે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કરતાં વધુ સ્પષ્ટ હોઈ શકે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતી વ્યક્તિ અને તેની આસપાસના લોકો કદાચ સમજી શકતા નથી કે આ સમસ્યાઓ તેમણે અનુભવેલા ટ્રોમાના પરિણામ છે.

શું બાળકોને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) થઈ શકે છે?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કોઈપણ ઉંમરે વિકસી શકે છે. જોકે, આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરનારા મોટાભાગના બાળકો પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) કે અન્ય કોઈ પણ માનસિક બીમારી વિકસાવતા નથી.

બાળકોમાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો વયસ્કોમાં જોવા મળતા લક્ષણો જેવા જ હોય છે. બાળકો પણ અનુભવી શકે છે:

  • ભયાનક સ્વપ્નો – બાળકોમાં, આ સ્વપ્નો વાસ્તવિક આઘાતજનક ઘટના સાથે સીધા સંબંધિત હોઈ શકે છે અથવા ન હોઈ શકે.
  • પુનરાવર્તિત રમત – કેટલાક બાળકો રમતી વખતે આઘાતજનક ઘટનાનું પુનઃપ્રદર્શન કરે છે. ઉદાહરણ તરીકે, ગંભીર માર્ગ અકસ્માતમાં સંકળાયેલું બાળક રમકડાંની કારોથી અકસ્માતનું પુનઃનિર્માણ કરી શકે છે. 
  • શારીરિક લક્ષણ – તેઓ પેટમાં દુખાવો કે માથાનો દુખાવો હોવાની ફરિયાદ કરી શકે છે.
  • તેમનું જીવન ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે એવો ડર – તેમને એ માનવામાં મુશ્કેલી થાય કે તેઓ પુખ્તવય સુધી જીવશે, અથવા ભવિષ્યની કલ્પના કરવી તેમને મુશ્કેલ લાગે.

વધુ માહિતી માટે માતાપિતા અને સંભાળકર્તાઓ માટે અમારા ટ્રોમા અને દુર્દશા સંસાધન વાંચો.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેના ઉપચાર શું છે?

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટે અનેક વિવિધ અને અસરકારક સારવાર ઉપલબ્ધ છે. સૌથી અસરકારક સારવાર માનસિક થેરાપીઓ (જેને 'ટોકિંગ થેરાપીઓ' તરીકે પણ ઓળખવામાં આવે છે) છે. તમારો જી.પી. (જનરલ પ્રાકટિશનર) અથવા અન્ય આરોગ્યસંભાળ વ્યાવસાયિક પણ એન્ટીડિપ્રેસ્સંટ જેવી દવાઓ સૂચવી શકે છે.

મનોવૈજ્ઞાનિક ઉપચાર

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની મોટાભાગની, પરંતુ બધી નહીં, માનસિક સારવાર પદ્ધતિઓ આઘાતજનક અનુભવ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ હવે તમારા જીવનમાં ચાલી રહેલી અથવા ભૂતકાળમાં બનેલી અન્ય ઘટનાઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરશે. મનોવૈજ્ઞાનિક ઉપચાર તમને નીચેની બાબતોમાં મદદ કરશે:

  • સ્વીકાર – એવું શીખવું કે જે થયું છે તેને તમે બદલી શકતા નથી, પરંતુ તમે ઘટના, વિશ્વ અને તમારા જીવન વિશે વિચારવાની રીત બદલી શકો છો.
  • ઘટનાને યાદ રાખવું – ભય અને દુર્દશાથી વશમાં થયા વિના શું થયું તે યાદ રાખવું. તમે જ્યારે ઇચ્છશો ત્યારે શું થયું તે વિશે વિચારવા સક્ષમ થશો, અનિચ્છનીય વિચારો અથવા ફ્લેશબેક્સ દ્વારા નહીં.
  • તમારા અનુભવોને શબ્દોમાં વ્યક્ત કરવું – જે બન્યું તે એવી રીતે વર્ણવવું કે જેથી તમે તેને સમજી શકો અને યાદો ઓછી ભારે લાગે.
  • વધુ સુરક્ષિત અનુભવવું – તમારી લાગણીઓ પર વધુ નિયંત્રણ અનુભવવામાં મદદ કરે છે. આ તમને વધુ સુરક્ષિત અનુભવવામાં મદદ કરી શકે છે, જેથી તમારે સ્મૃતિઓથી એટલું બચવાની જરૂર નહીં પડે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની કોઈપણ વાતચીત ઉપચાર એવા વ્યક્તિ દ્વારા આપવામાં આવવી જોઈએ જે ટ્રોમા-કેન્દ્રિત થેરાપીમાં તાલીમપ્રાપ્ત અને માન્યતાપ્રાપ્ત હોય. થેરાપી સત્રો સામાન્ય રીતે ઓછામાં ઓછા અઠવાડિયામાં એકવાર, એ જ ચિકિત્સક સાથે યોજાય છે. તમને સામાન્ય રીતે 8–12 સત્રો મળશે, પરંતુ જો તમારું પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ખાસ કરીને જટિલ હોય તો તમને વધુ સત્રોની જરૂર પડી શકે છે. સત્રો સામાન્ય રીતે એક કલાકથી 90 મિનિટ સુધી ચાલે છે.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની સૌથી અસરકારક માનસિક સારવાર પદ્ધતિઓ છે:

આઘાત-કેન્દ્રિત જ્ઞાનાત્મક વર્તણુકીય ઉપચાર (ટી.એફ.-સી.બી.ટી.)

આ એક વાતચીત ઉપચાર છે જે તમને તમારા વિચારવાની રીતો બદલવામાં મદદ કરી શકે છે. સમય સાથે આ તમને સારું અનુભવવામાં અને વર્તનમાં ફેરફાર લાવવામાં મદદ કરી શકે છે. આ સામાન્ય રીતે તમારી અને થેરાપિસ્ટ વચ્ચે એક-એક (વ્યક્તિગત) રીતે આપવામાં આવે છે. કેટલાક પુરાવા છે કે ટી.એફ.-સી.બી.ટી. જૂથોમાં પણ આપી શકાય છે.

આંખની ગતિ દ્વારા અસંવેદનશીલતા અને પુનઃપ્રક્રિયા (ઇ.એમ.ડી.આર.)

આ એક તકનીક છે જેમાં તમારું ધ્યાન તમારા શરીરના ડાબા અને જમણા બાજુ વચ્ચે ખસેડવામાં આવે છે. આને 'દ્વિપક્ષીય ઉત્તેજના' કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે આંખોની હિલચાલ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હાથ વડે ટપલી મારવી અથવા વારાફરતી અવાજો જેવા અન્ય ઉપાયો પણ ઉપયોગમાં લેવાય છે. ઇ.એમ.ડી.આર. મગજને આઘાતજનક સ્મૃતિઓને પ્રક્રિયા કરીને ઓછી દુઃખદાયક બનાવવામાં મદદ કરે છે.

તમને આઘાતજનક ઘટના ને યાદ કરવા અને તે તમને કેવી રીતે વિચારવા અને અનુભવવા માટે પ્રેરણા આપે છે તે વર્ણવવા માટે કહેવામાં આવશે. જ્યારે તમે આ કરો ત્યારે તમને 'દ્વિપક્ષીય ઉતેજના', જેમ કે આંખોની ગતિ, કરવા માટે કહેવામાં આવશે. આથી તમને કોઈ દુઃખદ સ્મૃતિની આસપાસ અનુભવાતી લાગણીઓની તીવ્રતા ઘટે છે. આ ટ્રોમા ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે.

ઇ.એમ.ડી.આર. એક લાયકાતપ્રાપ્ત અને માન્યતાપ્રાપ્ત પ્રેક્ટિશનર દ્વારા આપવામાં આવવું જોઈએ. ઇ.એમ.ડી.આર. સામાન્ય રીતે 8–12 સત્રોમાં આપવામાં આવે છે. દરેક સત્ર એક કલાકથી ૯૦ મિનિટ સુધી ચાલે છે.

અન્ય સારવારો

બીજા કેટલાક વાતચીત ઉપચાર ચોક્કસ લક્ષણો (જેમ કે ઊંઘની સમસ્યા) ને લક્ષ્ય બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ઇ.એમ.ડી.આર. અથવા ટી.એફ.-સી.બી.ટી. પર સારી રીતે પ્રતિસાદ ન આપતા લોકો માટે આ ઉપયોગી હોઈ શકે છે.

જ્યારે ઘણી સારવાર પદ્ધતિઓ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નો ઉપચાર કરવાનો દાવો કરે છે, ત્યારે જો તમને તેના જોખમો અને ફાયદાઓ યોગ્ય રીતે સમજાવાયા ન હોય, તો તેનો ઉપયોગ કરતા પહેલા સાવચેત રહો.

કેટલાક પુરાવા સૂચવે છે કે સંક્ષિપ્ત, ગેર-ટ્રોમા-કેન્દ્રિત થેરાપી કેટલાક લોકો માટે લાભદાયક હોઈ શકે છે. હાલમાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ના ઉપચાર માટે ટી.એફ.-સી.બી.ટી. અને ઇ.એમ.ડી.આર. માટેની અસરકારકતાના શ્રેષ્ઠ પુરાવા છે. જો તમને વૈકલ્પિક સારવારની ઓફર કરવામાં આવે, તો તે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ની સારવારમાં નિષ્ણાત આરોગ્યસંભાળ વ્યાવસાયિક દ્વારા ભલામણ કરવામાં આવવી જોઈએ. અથવા તેમને એક ઔપચારિક ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે ભલામણ કરવી જોઈએ.

દુર્ભાગ્યવશ, NHS મારફતે વાતચીત આધારિત થેરાપીઓ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. આ પર નિર્ભર રહેશે કે તમે ક્યાં રહો છો અને તમારા વિસ્તારમાં શું ઉપલબ્ધ છે. આ દરમિયાન, સ્વ-સહાય સામગ્રી તમને ઉપયોગી થઈ શકે છે. તમારા જી.પી. (જનરલ પ્રાકટિશનર) ને પૂછો કે શું તેમની પાસે કોઈ સામગ્રી છે જે તેઓ ભલામણ કરી શકે. અથવા તમે NHS સ્કોટલેન્ડની પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અને કોમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની સ્વ-સહાય માર્ગદર્શિકા જોઈ શકો છો.

દવા

એન્ટીડિપ્રેસ્સંટ
તમારા ડૉક્ટર સૂચવી શકે છે કે તમે એન્ટીડિપ્રેસ્સંટ લેવાનું શરૂ કરો. આ ઉપયોગી હોઈ શકે છે જો:

  • તમે મનોવૈજ્ઞાનિક ઉપચાર માટે રાહ જોઈ રહ્યા છો
  • તમે તમારા પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટે મનોવૈજ્ઞાનિક ઉપચાર અજમાવી છે, પરંતુ તે અસરકારક સાબિત થયું નથી
  • તમે મનોવૈજ્ઞાનિક ઉપચાર કરાવવા ઇચ્છતા નથી.

સિલેક્ટિવ સેરોટોનિન રીઅપ્ટેક ઇનહિબિટર્સ (એસ.એસ.આર.આઈ.) એ એક પ્રકારના એન્ટીડિપ્રેસ્સંટ છે, જે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ના લક્ષણો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે પણ હતાશા અનુભવી રહ્યા હો, તો એન્ટીડિપ્રેસ્સંટ દવાઓ આમાં મદદરૂપ થઈ શકે છે.

અન્ય દવાઓ
જો એસ.એસ.આર.આઈ. તમારા માટે અસરકારક ન હોય, તો તમને અન્ય દવાઓ, જેમ કે અન્ય એન્ટીડિપ્રેસ્સંટ અથવા એન્ટિસાયકોટિક, આપવામાં આવી શકે છે.

એન્ટિસાયકોટિક દવાઓ વિવિધ માનસિક બીમારીઓના ઉપચાર માટે વપરાય છે. એન્ટિસાયકોટિક્સને મુખ્ય શાંતકરક તરીકે પણ ઓળખવામાં આવે છે. એસ.એસ.આર.આઈ. એન્ટીડિપ્રેસ્સંટની જેમ, એન્ટિસાયકોટિક્સ તમારા પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) લક્ષણો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ જાણવું મહત્વપૂર્ણ છે કે જો તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) છે અને તમને એન્ટિસાયકોટિક દવા આપવામાં આવે, તો તેનો અર્થ એ નથી કે તમને મનોવિકૃતિ અથવા અન્ય કોઈ ગંભીર (પી.ટી.એસ.ડી. સિવાયની) માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ છે.

અન્ય દવાઓ સામાન્ય રીતે શરૂઆતમાં મનોચિકિત્સક દ્વારા જ લખી આપવામાં આવે છે. તેઓએ દરેક પ્રકારની દવાના ફાયદા અને ગેરફાયદા તમારા સાથે ચર્ચા કરવી જોઈએ.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટે દવા પ્રથમ પસંદગીની સારવાર નથી. તથાપિ, યોગ્ય દવાઓ તમને અન્ય સારવાર અને સહાય, જેમ કે માનસિક થેરાપીઓ, સાથે જોડાવા વધુ સરળ બનાવી શકે છે.

કયો ઉપચાર શ્રેષ્ઠ છે?

પુરાવા છે કે ટી.એફ.-સી.બી.ટી. અને ઇ.એમ.ડી.આર. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટે શ્રેષ્ઠ પ્રથમ-પસંદગીની થેરાપીઓ છે. જે લોકો ટોકિંગ થેરાપી લેવા ઇચ્છતા નથી અથવા જેમને તે સરળતાથી ઉપલબ્ધ નથી, તેમના માટે દવાઓ મદદરૂપ થઈ શકે છે.

મારે પહેલા કયો ઉપચાર લેવો જોઈએ?

જ્યાં શક્ય હોય ત્યાં, દવા પહેલાં ટ્રોમા-કેન્દ્રિત મનોવૈજ્ઞાનિક થેરાપી (ટી.એફ.-સી.બી.ટી. અથવા ઇ.એમ.ડી.આર.) આપવી જોઈએ. આ રાષ્ટ્રીય આરોગ્ય અને સંભાળ ઉત્કૃષ્ટતા સંસ્થા (NICE) દ્વારા તૈયાર કરાયેલા માર્ગદર્શિકા અનુસાર છે. આ ઉપચાર જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ની સારવારના ભાગરૂપે પણ મદદરૂપ થાય છે, જેના વિશે અમે આ સંસાધનમાં આગળ ચર્ચા કરીશું.

હું મારી જાતને કેવી રીતે સહારો આપી શકું?

જો તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) છે, તો તમારી પુનઃપ્રાપ્તિમાં મદદ કરવા માટે તમે ઘણી બાબતો કરી શકો છો. જો તમારી પાસે થેરાપિસ્ટ હોય, તો તેઓ તમને આ પદ્ધતિઓમાં માર્ગદર્શન આપશે અને તમારી માટે અનુકૂળ લાગે તેવી ગતિએ તેનો ઉપયોગ કરવામાં મદદ કરશે:

તમારી દૈનિક રૂટીનનું પાલન

જો શક્ય હોય તો, તમારા સામાન્ય રૂટીનમાં પાછા આવવા અથવા તેમાં જ રહેવાનો પ્રયાસ કરો. તમારા જીવનને શક્ય તેટલું અપરિવર્તિત રાખવાથી તમને વ્યવસ્થિતતા અને મૂળભૂત સ્થિરતાનો અનુભવ મળી શકે છે.

કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરો

તમે ફક્ત કોઈ પણ વ્યક્તિ સાથે જે થયું તે અંગે વાત કરવાની ફરજ અનુભવવી જોઈએ નહીં. તેમ છતાં, કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરવાથી તમે સુરક્ષિત જગ્યામાં તમારી લાગણીઓને સમજી શકો છો. જો અન્ય લોકો પણ તમે અનુભવેલી આઘાતજનક ઘટનામાં સામેલ હતા, તો તેમની સાથે વાત કરવી પણ મદદરૂપ થઈ શકે છે. ફક્ત ત્યારે જ આ કરો જ્યારે આ તમારા માટે ખૂબ જ દુઃખદાયક ન હોય.

સાથીદારનો ટેકો મેળવો

આ કરવા માટે, તમે એવી ચેરિટી શોધી શકો છો જે એવા લોકો સાથે કામ કરે છે જેમણે તમારી જેવી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો હોય. તેઓ પાસે કોઈ 'સાથીદાર નો ટેકો' અવસર અથવા સપોર્ટ ગ્રુપ છે કે નહીં તે પૂછો. અમે આ સંસાધનના અંતે કેટલીક ચેરિટીઓ સૂચવી છે, જે તમને ઉપયોગી લાગી શકે છે.

આરામની કસરતો અજમાવો

આરામ મેળવવા માટે સ્વ-નિર્દેશિત ધ્યાન અને સચેતતાના અભ્યાસો અજમાવો. પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોય ત્યારે આરામ કરવા માટેના રસ્તાઓ શોધવું પડકારજનક હોઈ શકે છે, પરંતુ તે તમને તમારા લક્ષણો પર થોડી નિયંત્રણ મેળવવામાં મદદ કરી શકે છે. જો કે, આરામ મેળવવાની પદ્ધતિઓ પોતે સારવાર નથી અને સાજા થવા માટે તમે અપનાવતા અન્ય સહાયક ઉપાયો અને કૌશલ્યો સાથે તેનો ઉપયોગ થવો જોઈએ. તમારા માટે ઉપયોગી થઈ શકે તેવી કસરતો અથવા પ્રવૃત્તિઓ વિશે તમારા ચિકિત્સક સાથે વાત કરવી શ્રેષ્ઠ છે.

કામ પર કે શાળામાં પાછા ફરવાનો વિચાર કરો

જો તમે સક્ષમ અનુભવો, તો કામ, શાળા કે યુનિવર્સિટી પર પાછા ફરવું મદદરૂપ થઈ શકે છે. ઘટના બાદ વિરામ લેવું ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી રજા પર રહેવું તમારા માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માન પર નકારાત્મક અસર કરી શકે છે. કામ કરવું કે શાળા કે યુનિવર્સિટીમાં હાજરી આપવી તમને નિયમિતતા અને ઉદ્દેશ્યની લાગણી આપી શકે છે. આ તમારા પુનઃપ્રાપ્તિમાં મદદ કરી શકે છે.

વધુ આઘાત અથવા તીવ્ર તણાવનો સામનો કરવાની પરિસ્થિતિઓમાં રહેવાનું ટાળવાનો પ્રયાસ કરો. જો શક્ય હોય તો, સાજા થવાની પ્રક્રિયા દરમિયાન સહાયક અને ઓછા તણાવવાળા વાતાવરણમાં કામ કરવું શ્રેષ્ઠ છે. આ મુશ્કેલ સમય દરમિયાન તમને મદદરૂપ થવા માટે કરી શકાય તેવા કોઈપણ યોગ્ય સુધારાઓ અંગે તમારા મેનેજર સાથે વાત કરો.

નિયમિતપણે ખાઓ અને વ્યાયામ કરો

જ્યારે તમે સામાન્ય રીતે ખાવાનો સમય હોય ત્યારે ખાવાનો પ્રયાસ કરો, ભલે તમને ભૂખ ન હોય અથવા ભોજન તૈયાર કરવા કે પોતાને ખવડાવવા માટે પ્રેરણા ન હોય. જો તમે સક્ષમ હોવ તો નિયમિતપણે વ્યાયામ કરવાનો પ્રયાસ કરો. આ તમને ઊંઘવાનો સમય થાય ત્યારે વધુ થાક અનુભવવામાં પણ મદદ કરી શકે છે. તમે અમારા સારી ઊંઘ સંસાધનમાં ઊંઘ વિશે વધુ જાણકારી મેળવી શકો છો.

બીજા સાથે સમય વિતાવો

જે લોકોની તમે કાળજી કરો છો, તેમની સાથે સમય વિતાવવા માટે સમય કાઢવાથી તેમને સહાયની લાગણી મળી શકે છે. જે બન્યું તેના વિશે વાત કરવાની ઇચ્છા ન હોય ત્યારે પણ અન્ય લોકોની વચ્ચે રહેવું મૂલ્યવાન છે. ફોન કૉલ કે ટેક્સ્ટ સંદેશ પણ તમને જોડાયેલા અનુભવવામાં મદદ કરી શકે છે.

સુધરવાની અપેક્ષા રાખો

સુધારા શક્ય છે એવી માન્યતાને પકડી રાખવાનો પ્રયાસ કરો. આશા રાખવાથી તમારી સાજા થવાની પ્રક્રિયામાં મદદ મળી શકે છે, પરંતુ ઝડપથી સાજા થવા માટે પોતાને દબાણમાં ન મૂકશો. આ સમય દરમિયાન પોતાની સાથે દયાળુ બનવાનો પ્રયાસ કરો.

જ્યાં આ આઘાતજનક ઘટના બની હતી ત્યાં પાછા જાઓ

તમને મદદરૂપ લાગશે કે તમે તે આઘાતજનક ઘટના સ્થળે, અથવા ઓછામાં ઓછું તેના નજીક, પાછા જાઓ. તમે ફક્ત ત્યારે જ આ કરો જ્યારે તમે તૈયાર અનુભવો. જો તમે આ કરવાની યોજના બનાવી રહ્યા હો, તો તમારા ચિકિત્સક અથવા ડૉક્ટર સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે, જેથી તેઓ આ પગલાંમાં તમારો સાથ આપી શકે. જ્યાં કોઈ આઘાતજનક ઘટના બની હતી ત્યાં પાછા ફરવું કાળજીપૂર્વક આયોજન કરવું મહત્વપૂર્ણ છે. તમને વિશ્વાસ હોય એવી વ્યક્તિ તમારી સાથે હોય, તો તે તમને મદદરૂપ થઈ શકે છે.

ટાળવા જેવી બાબતો

તમે સાજા થવાની પ્રક્રિયામાં કેટલીક બાબતોથી બચવું કે તેના પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. 'યોગ્ય' કામ કરવું ખરેખર પડકારજનક હોઈ શકે છે, અને જો તમે ક્યારેક આમાંથી કોઈપણ બાબત કરો, તો તેના માટે તમારે અપરાધભાવ અનુભવવાની જરૂર નથી. ટાળવા માટે તમારું શ્રેષ્ઠ પ્રયત્ન કરો:

  • આત્મ-આલોચના - પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો નબળાઈની નિશાની નથી. તે ભયાનક અનુભવો માટેની સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા મજબૂત અને સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા લોકોને પણ પી.ટી.એસ.ડી. થયો છે, જેમ કે ઇમરજન્સી પ્રતિસાદકર્મીઓ અને યુદ્ધના પત્રકારો.
  • તમારી લાગણીઓને પોતાની પાસે જ રાખવી– જો તમને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) છે, તો તમારા વિચારો અને લાગણીઓ બીજાઓ સાથે વહેંચવા માટે દોષી નહીં માનશો. તમે કેવી રીતે અનુભવો છો તે અંગે વાત કરવાથી તમારી પુનઃપ્રાપ્તિમાં મદદ મળી શકે છે, અને જે લોકો તમારી કાળજી લે છે, તેઓ શક્ય હોય તો મદદ કરવા ઇચ્છશે.
  • તરત જ બધું સામાન્ય થઈ જશે એવી અપેક્ષા રાખવી – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની સારવારમાં સમય લાગી શકે છે, અને તમને ઊંચ-નીચ અનુભવવો પડી શકે છે. ખૂબ જ ઝડપથી પોતાની પાસેથી વધારે અપેક્ષા રાખવાનું ટાળો, પરંતુ આશા ગુમાવશો નહીં. ચિકિત્સા અને સહાયથી, પરિસ્થિતિ સુધરશે.
  • અન્ય લોકોથી દૂર રહેવું – એકલા ઘણો સમય વિતાવવાથી એકલતાની લાગણી વધી શકે છે અને તમને વધુ ખરાબ લાગે છે. જો શક્ય હોય તો અન્ય લોકો સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો, અને યાદ રાખો કે તમને જે થયું તે અંગે વાત કરવાની જરૂર નથી.
  • દારૂ અને ધૂમ્રપાન – જ્યારે દારૂ તમને તાત્કાલિક આરામ આપે છે, ત્યારે લાંબા ગાળે તે તમને ઘણું ખરાબ મહેસૂસ કરાવે છે. જો તમને પી.ટી.એસ.ડી. સાથે સંકળાયેલા લક્ષણો અનુભવાઈ રહ્યા હોય, તો કોફી અને નિકોટિન ઉત્તેજકો તરીકે કાર્ય કરી શકે છે, જેનાથી તમને વધુ ખરાબ લાગી શકે છે.
  • અતિ થાકી જવું – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારી સામાન્ય ઊંઘવાની રૂટીનને શક્ય તેટલી અનુસરો અને મોડે સુધી જાગવાનું ટાળો, કારણ કે તે તમને વધુ ખરાબ લાગશે. તમે સારી રીતે ઊંઘવા અંગેની અમારી સંસાધનમાં વધુ માહિતી મેળવી શકો છો.

અંતે, ડ્રાઇવિંગ કરતી વખતે પણ તમારે સાવચેત રહેવું જોઈએ, અને જો તમને ડ્રાઇવિંગ કરવું સુરક્ષિત ન લાગે તો તમારે DVLA ને જાણ કરવી જોઈએ. કોઈ દુઃખદ ઘટના બાદ લોકો અકસ્માતો માટે વધુ સંવેદનશીલ બની શકે છે.

કમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) શું છે?

કેટલાક લોકોમાં કોમ્પ્લેક્સ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (કોમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)) નામની એક સ્થિતિ વિકસે છે. આ ઘણીવાર લાંબા સમય સુધી ચાલેલી અથવા અત્યંત ભયજનક કે ભયાવહ ઘટનાઓની શ્રેણીનો અનુભવ કરવાના પરિણામે થાય છે. આ ઘટનાઓ બાળપણમાં કે પુખ્તવયમાં થઈ શકે છે. આ ઘટનાઓમાંથી ઘણીવાર સરળતાથી બચી જવું કે ટાળવું મુશ્કેલ કે અશક્ય રહ્યું હશે.

જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) તરફ દોરી શકે તેવી ઘટનાઓનાં ઉદાહરણોમાં શામેલ છે:

  • દીર્ઘકાલીન ઘરેલુ હિંસા
  • બાળપણમાં વારંવાર થયેલ યૌન કે શારીરિક દુર્વ્યવહાર
  • ત્રાસ
  • યુદ્ધક્ષેત્રમાં જીવવું
  • નરસંહાર અભિયાનો
  • દાસીપ્રથા.

પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો ઉપરાંત, જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકો પણ:

  • પોતાને ‘ઘટાડેલા, પરાજિત અથવા નકામા’ તરીકે અત્યંત નકારાત્મક માન્યતાઓ ધરાવતા હોય છે
  • તેઓ માટે તેમની ભાવનાઓ અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવી અત્યંત મુશ્કેલ છે
  • બીજા લોકો સાથે સંબંધ જાળવવા અને નજીક અનુભવવું ખૂબજ મુશ્કેલ લાગે છે.

હું જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માંથી કેવી રીતે સાજા થઈ શકું?

જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકોમાં અને સમગ્ર વિશ્વ પ્રત્યે અવિશ્વાસની લાગણી સામાન્ય હોય છે. જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) માટેની સારવાર ઘણીવાર વધુ સમય લે છે, જેથી લોકો ચિકિત્સક સાથે સુરક્ષિત સંબંધ વિકસાવી શકે. કોઈ વ્યક્તિ જેને જટિલ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) હોય, તે ચિકિત્સક સાથેનું કાર્ય ઘણીવાર ત્રણ તબક્કાઓમાં થાય છે. તથાપિ, તમારે આ તમામ તબક્કાઓ કરવાની કે તેમને ક્રમબદ્ધ રીતે કરવાની જરૂર ન હોઈ શકે, અને તમે કેટલાક તબક્કાઓ ફરીથી કરી શકો છો.

પડાવ 1: સ્થિરકરણ

સ્થિરકરણ તમને તમારી ચિંતા અને ફરીથી અનુભવ થનારા લક્ષણો પર નિયંત્રણ પાછું મેળવવામાં મદદ કરવા માટે રચાયેલું છે. ઉદાહરણ તરીકે, ઘૂસણકારક વિચારો અથવા ફ્લેશબેક્સ.

સ્થિરકરણ તબક્કામાં તમે:

  • તમારા થેરાપિસ્ટ સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ કેળવવાનું શીખો
  • તમારી દુર્દશા અને અલગપણાની લાગણીઓને સમજવા અને સંભાળવા શીખો
  • 'ગ્રાઉન્ડિંગ' તકનીકો શીખો. આ તમને સામાન્ય શારીરિક સંવેદનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે. આ તમને યાદ અપાવે છે કે તમે ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં જીવી રહ્યા છો.

સ્થિરકરણ તમને તમારા ડર અને ચિંતા ની લાગણીઓને તેમને ઉત્પ્રેરિત કરતી સ્મૃતિઓ અને ભાવનાઓથી 'વિચ્છેદ' કરવામાં મદદ કરી શકે છે. આથી આ સ્મૃતિઓ ઓછી ભયાનક અને ઓછી તીવ્ર બની શકે છે.

ક્યારેક સ્થિરકરણ જ એકમાત્ર જરૂરી મદદ હોઈ શકે છે.

પડાવ 2: ટ્રોમા-કેન્દ્રિત થેરાપીઓ

જ્યારે તમે તમારા ચિકિત્સક પર વિશ્વાસ કરવા સક્ષમ અનુભવશો અને તમારા કેટલાક લક્ષણો પર વધુ નિયંત્રણ મેળવી લેશો, ત્યારે સારવાર ટ્રોમાને સંબોધવામાં કેન્દ્રિત થશે. આમાં સામાન્ય રીતે ઇ.એમ.ડી.આર. અથવા ટી.એફ.-સી.બી.ટી. સામેલ હોય છે, જે તમને તમારા આઘાતજનક અનુભવ ને પ્રક્રિયા કરવામાં મદદ કરશે.

જો તમારા કેટલાક લક્ષણોનો સામનો કરવો મુશ્કેલ હોય, તો ઇ.એમ.ડી.આર. અથવા ટી.એફ.-સી.બી.ટી. સાથે અન્ય માનસિક થેરાપીઓ પણ મદદરૂપ થઈ શકે છે.

તમારો ચિકિત્સક આ સારવારના તબક્કામાં તમને ખૂબ ઝડપી આગળ ધકેલવાનું ટાળશે, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય.

તબક્કો 3: પુનઃસમાવેશ અથવા પુનઃજોડાણ

જેમ જેમ તમારા ટ્રોમાના લક્ષણોમાં સુધારો થાય છે, તેમ તેમ તમારો ચિકિત્સક તમને ધીરે-ધીરે વધુ સામાન્ય જીવનશૈલીમાં પાછા ફરવામાં મદદ કરશે. આ તબક્કામાં સામાન્ય રીતે તમને વાસ્તવિક વિશ્વમાં અનુકૂળ થવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, કારણ કે તમે હવે પહેલા જે જોખમી પરિસ્થિતિમાં હતા, તેમાં નથી. આ ખાસ કરીને શરૂઆતમાં ડરામણી અને આશાવાદી બંને લાગી શકે છે.

આ પ્રક્રિયા દરમિયાન, તમારે તમારી આત્મ-સંવેદનાને ફરીથી મેળવવાનું શરૂ કરવું જોઈએ. તમે જાણશો કે તમે અધિકારો ધરાવતા અને પસંદગીઓ કરવાની સ્વતંત્રતા ધરાવતા વ્યક્તિ છો.

પુનઃએકીકરણ તમને મદદ કરશે:

  • પોતાની અને અન્ય લોકોની સાથે દયાળુતાપૂર્વક વર્તો
  • તમારામાં અને અન્ય લોકોમાં વિશ્વાસ ફરીથી સ્થાપિત કરો
  • તમારે સ્નેહસંબંધો, નજીકના સંબંધો અને એવી પ્રવૃત્તિઓમાં ફરી જોડાવા માટે સશક્ત બનાવે છે, જે તમારા આરોગ્ય અને કલ્યાણને પ્રોત્સાહિત કરે છે. જો તમે હાલમાં કામ કરતા ન હો, તો તેમાં નોકરી અથવા કામનો પણ સમાવેશ થઈ શકે છે

દુર્ભાગ્યવશ, પી.ટી.એસ.ડી.ની જેમ, કોમ્પ્લેક્સ-પી.ટી.એસ.ડી. માટેની વાતચીત આધારિત થેરાપીઓ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. આ પર નિર્ભર રહેશે કે તમે ક્યાં રહો છો અને તમારા વિસ્તારમાં શું ઉપલબ્ધ છે.

દવા

પી.ટી.એસ.ડી.ની જેમ, જટિલ પી.ટી.એસ.ડી.ના ઉપચાર માટે એન્ટીડિપ્રેસ્સંટ અથવા અન્ય દવાઓનો ઉપયોગ કરી શકાય છે. એન્ટીડિપ્રેસ્સંટનો ઉપયોગ કરી શકાય છે:

  • મનોવૈજ્ઞાનિક ઉપચારની સાથે
  • મનોવૈજ્ઞાનિક ઉપચારની જગ્યાએ
  • જો તમે મનોવૈજ્ઞાનિક ઉપચારની રાહ જોઈ રહ્યા છો, અથવા તે ઉપલબ્ધ નથી
  • જો મનોવૈજ્ઞાનિક થેરાપી તમારા માટે અસરકારક સાબિત ન થઈ રહી હોય.

તમારા દવાઓની સમીક્ષા માટે મનોચિકિત્સક ને પણ સામેલ કરવું મદદરૂપ થઈ શકે છે.

સ્વ-સહાય

આ સંસાધનમાં અગાઉ 'હું મારી જાતને કેવી રીતે સહાય કરી શકું?' નામના વિભાગમાં જટિલ પી.ટી.એસ.ડી. હોય ત્યારે તમે તમારી જાતને મદદ કરવા માટે શું કરી શકો તે આવરી લેવામાં આવ્યું છે.

કોઈને પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) છે કે નહીં, તે હું કેવી રીતે જાણી શકું?

જો તમે કોઈને ઓળખતા હો જેમણે તાજેતરમાં કોઈ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યો હોય, તો કેટલીક બાબતો પર તમારે ધ્યાન રાખવું જોઈએ. આ બાબતો એ સંકેત હોઈ શકે છે કે તેઓ પરિસ્થિતિનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે:

  • તેમના વર્તનમાં ફેરફાર – કામમાં અસામાન્ય રીતે નબળી કામગીરી, મોડું આવવું, બીમારીની રજા લેવી અથવા નાના અકસ્માતો.
  • તેમની ભાવનાઓમાં ફેરફાર – અસામાન્ય ગુસ્સો, ચીડિયાપણું, હતાશા, રસની અછત અથવા ધ્યાનની અછત.
  • તેમના વિચારોમાં ફેરફાર – ધમકીઓ, ભય અથવા ભવિષ્ય વિશેના નકારાત્મક દૃષ્ટિકોણોમાં અટવાવું.
  • અચાનક શારીરિક લક્ષણ – જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, ઉદ્વેગ, ચંચળતા અથવા પેટમાં દુખાવો.

જો તમને લાગે કે કોઈમાં પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)નાં લક્ષણો દેખાય છે, તો તમે તેમને તેમના જી.પી. (જનરલ પ્રાકટિશનર) અથવા તેમને વિશ્વાસ હોય તેવા અન્ય આરોગ્યકર્મી સાથે વાત કરવા પ્રોત્સાહિત કરી શકો છો. જો તમને તેમની સાથે એટલી નિકટતા ન લાગતી હોય કે તમે આ કરી શકો, તો તમે તેમની નજીકની કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકો છો, જે તમારા બદલે આ કરી શકે.

તેઓ માટે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિશેની માહિતી, જેમ કે આ સંસાધન, જોવું પણ મદદરૂપ થઈ શકે છે. આ તેમને તેમની મુશ્કેલીઓ ઓળખવામાં અને તેનો ઉપાય શું છે તે જાણવામાં મદદ કરી શકે છે.

જે વ્યક્તિએ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યો હોય તેને હું  કેવી રીતે  સમર્થન આપી શકું?

તમે કરી શકો એવી બાબતો

નીચેની બાબતો કોઈ વ્યક્તિને, જેમણે આઘાતજનક અનુભવનો સામનો કર્યો હોય, મદદરૂપ થઈ શકે છે:

હાજર રહો

તેમ સાથે સમય વિતાવવાની ઓફર કરો. જો તેઓ તમને મળવા ન ઇચ્છતા હોય, તો તેમને જણાવવું મદદરૂપ થઈ શકે છે કે જો તેઓ પોતાનો નિર્ણય બદલે, તો તમે તેમની સાથે રહેવા માટે હાજર હશો. તમારે તેમના પર દબાણ ન કરવું જોઈએ, પરંતુ તેઓ તમારી મદદ સ્વીકારે તે પહેલાં તમારે તેમને એક કરતાં વધુ વખત પૂછવાની જરૂર પડી શકે છે.

સાંભળો

જો તેઓ પોતાની સાથે શું બન્યું તે જણાવવા માટે તૈયાર ન હોય, તો તેના માટે તેમના પર દબાણ કરવાનો પ્રયાસ ન કરો. જો તેઓ વાત કરવા ઇચ્છતા હોય, તો તેમની વાત ધ્યાનથી સાંભળો અને વચ્ચે અટકાવશો નહીં અથવા તમારા પોતાના અનુભવો શેર કરશો નહીં. ભલે તમે સારા ઇરાદાથી તમારા પોતાના અનુભવો શેર કરો, પરંતુ કેટલીકવાર તેનાથી તેમની લાગણીઓને અવગણવામાં આવી રહી હોય એવું તેમને લાગી શકે છે.

સામાન્ય પ્રશ્નો પૂછો

જો તમે પ્રશ્નો પૂછો, તો તેમને સામાન્ય અને નિર્વિવાદક બનાવવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, તમે પૂછી શકો છો કે ‘શું તમે આ વિશે બીજા કોઈની સાથે વાત કરી છે?’ અથવા ‘શું હું તમને કોઈ વધારાનો આધાર શોધવામાં મદદ કરી શકું?’

વ્યવહારુ મદદ ઓફર કરો

તેમને પોતાની સંભાળ રાખવી અને દૈનિક રૂટીનનું પાલન કરવું વધુ મુશ્કેલ લાગી શકે છે. તમે સફાઈ કે ભોજન તૈયાર કરવા જેવી વ્યવહારુ બાબતોમાં મદદ કરવાની ઓફર કરી શકો છો.

તમારી પોતાની કાળજી લો

જો તમે કોઈની મદદ કરી રહ્યા છો, તો ખાતરી કરો કે તમે પણ પોતાનું ધ્યાન રાખો. કોઈ વ્યક્તિને, જેમણે કોઈ આઘાતજનક ઘટનાનો અનુભવ કર્યો હોય, તેનું સમર્થન કરવું ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે.

ટાળવા જેવી બાબતો

તેમને કહેવું કે તમે તેમની લાગણીઓને સમજો છો

ભલે તમે સમાન અનુભવ કર્યો હોય, લોકો પરિસ્થિતિઓને ખૂબ જ અલગ રીતે અનુભવે છે. સરખામણી કરવી બિનસહાયક બની શકે છે. યાદ રાખો, ભલે તમને ખબર હોય કે કોઈ વ્યક્તિએ શું અનુભવ્યું છે, તેમ છતાં તેમણે તમને બધું જ કહ્યું હોય એવું જરૂરી નથી. આ કારણે, તમે જે તુલનાઓ કરી રહ્યા છો તે કદાચ ચોક્કસ ન હોઈ શકે.

તેમને કહેવું કે તેઓ જીવંત અને અક્ષત રહેવા માટે ભાગ્યશાળી છે

આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરનારા લોકો ઘણીવાર પોતાને ભાગ્યશાળી માનતા નથી. લોકો ક્યારેક નીચેની બાબતો માટે અપરાધભાવ અનુભવી શકે છે:

  • જો બીજાઓ મૃત્યુ પામ્યા હોય તો જીવંત હોવું
  • ઘાયલ ન થવા બદલ
  • અથવા બીજાઓ જેટલા ગંભીર રીતે ઘાયલ ન થવા બદલ.

તેમને એમ કહેવું કે તેઓ નસીબદાર રહ્યા છે, તે તેમને પોતાની સરખામણી અન્ય લોકો સાથે કરવા પ્રોત્સાહિત કરી શકે છે. અથવા તે તેમને તેમના પ્રતિક્રિયા માટે શરમ અનુભવવાનું કારણ બની શકે છે.

તેઓના અનુભવને ઓછું કરવું

તે વધુ ખરાબ હોઈ શકતું હતું એવું સૂચવવાનું ટાળો, ભલે તમે તેમને સારું લાગે તે માટે પ્રયત્ન કરી રહ્યા હોવ. આથી લોકોને એવું લાગે છે કે તેમની લાગણીઓ યોગ્ય નથી.

સૂચનો આપવું

સૂચનો આપવાનું ટાળો, ભલે જ તમને ભૂતકાળમાં તે સૂચનો અસરકારક લાગ્યા હોય. બધા લોકો અલગ-અલગ હોય છે અને તમે જેને ઓળખો છો તે વ્યક્તિએ કદાચ તમે જે સૂચવી રહ્યા છો તે પહેલેથી જ અજમાવી લીધું હશે. જો તમને ખાતરી ન હોય કે તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો તે સૂચનો માંગે છે કે નહીં, તો તેમને પૂછો.

વધુ માહિતી અને સપોર્ટ

  • PTSDનું સંક્ષિપ્ત વર્ણન, NHS – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અંગે NHS તરફથી માહિતી
  • કૉમ્પ્લેક્સ PTSDનું સંક્ષિપ્ત વર્ણન, NHS – NHS તરફથી કૉમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિશેની માહિતી
  • PTSD,Mind – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અને કોમ્પ્લેક્સ પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) વિશે ચેરીટી Mind તરફથી માહિતી
  • મિત્રો અને કુટુંબીજનો કેવી રીતે મદદ કરી શકે? MInd – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા કોઈ જાણકાર વ્યક્તિને તમે કેવી રીતે મદદ કરી શકો તે અંગેની માહિતી
  • ઉપયોગી સંપર્કો, Mind – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) ધરાવતા લોકોને સહાય આપતી અન્ય ચેરિટીઓ અને સંસ્થાઓના લિંક્સ

હેલ્પલાઇન્સ

  • Samaritans - Samaritans એ એક ચેરિટી સંસ્થા છે, જે કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને સાંભળવાની અને સહાય સેવાઓ પ્રદાન કરે છે.
  • Shout – Shout યુકેમાં સહાયની જરૂરિયાત ધરાવતા કોઈપણ માટેની મફત, ગુપ્ત અને 24/7 ટેક્સ્ટ સંદેશા સેવા છે.

સખાવતી સંસ્થાઓ

અહીં કેટલીક ચેરિટીઓ છે જે પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર) અથવા આઘાતજનક ઘટનાઓનો અનુભવ કરતા લોકોને સહાય આપે છે:

  • PTSD UK  – પી.ટી.એસ.ડી. (પોસ્ટ-ટ્રોમાતિક સ્ટ્રેસ ડિસઑર્ડર)ની જાગૃતિ વધારવા માટે સમર્પિત UK ચેરિટી
  • Combat Stress – પૂર્વસૈનિકોના માનસિક સ્વાસ્થ્ય માટેની યુકે ચેરિટી.
  • Cruse Bereavement Care – ઇંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં શોક ગ્રસ્ત લોકો માટે સહાયની ઓફર કરતી ચેરિટી
  • Cruse Bereavement Care Scotland – સ્કોટલેન્ડમાં શોકગ્રસ્ત લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપતી ચેરિટી

Rape Crisis – યુકેમાં યૌન હિંસા અને દુર્વ્યવહારથી પ્રભાવિત લોકોને સહાય આપતી ત્રણ રેપ ક્રાઇસિસ ચેરિટીઓ છે:

Victim Support – યુકેમાં ગુનાહિત ઘટનાઓ અને આઘાતજનક બનાવોના પીડિતોને સહાય આપતી ત્રણ પીડિત સહાય ચેરિટીઓ છે:

વિવિધ અનુભવોમાંથી પસાર થયેલા લોકોને ટેકો આપતી ઘણી સંસ્થાઓ છે, અને અમે અહીં બધી સંસ્થાઓનો સમાવેશ કર્યો નથી.

ક્રેડિટ્સ

આ માહિતી મનોચિકિત્સકોની રોયલ કોલેજ (Royal College of Psychiatrists')ના પબ્લિક એંગેજમેન્ટ એડિટોરિયલ બોર્ડ (PEEB) દ્વારા બનાવવામાં આવી હતી. તે લેખન સમયે ઉપલબ્ધ શ્રેષ્ઠ પુરાવાઓને પ્રતિબિંબિત કરે છે. 

PTSD UK નો ખાસ આભાર, જેમણે આ સંસાધન પર કૃપા કરીને તેમનો પ્રતિસાદ આપ્યો.

નિષ્ણાત સંપાદક: પ્રોફેસર નીલ ગ્રીનબર્ગ

અનુભવી નિષ્ણાતો: ઓટમ ફૂર્ડ, બ્રાયન હેડન અને એલી વાઇલ્ડબોર

આ સંસાધન માટે સંપૂર્ણ સંદર્ભો વિનંતી પર ઉપલબ્ધ છે.

This translation was produced by CLEAR Global (July 2026)

Read more to receive further information regarding a career in psychiatry